રાહુલના વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો: PMને આતંકવાદનો ભોગ બનનારાઓના પરિવારની ચીસો સંભળાતી નથી, તેમની પાસે પાકિસ્તાન માટે ભરપુર સમય
- 12 Jun, 2024
જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ હુમલાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે અભિનંદનના મેસેજોનો જવાબ આપવામાં વ્યસ્ત નરેન્દ્ર મોદીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના પરિવારની ચીસો સંભાઈ રહી નથી.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડામાં 3 અલગ-અલગ આતંકી ઘટનાઓ બની છે. જોકે આમ છતાં વડાપ્રધાન હાલ પણ જશ્નમાં મગ્ન છે. દેશ જવાબ માંગી રહ્યો છે. અંતે ભાજપની સરકારમાં આતંકી હુમલાઓનું ષડયંત્ર રચનારાઓ પકડાતા કેમ નથી. બીજી તરફ કોંગ્રેસે પણ વધતા આતંકવાદી હુમલાઓ અને પીએમના ચૂપ રહેવા પર સવાલ ઉઠાવ્યા છે.
કોંગ્રેસનું કહેવું છે કે પીએમ મોદીએ પાકિસ્તાનના નેતાઓને એક્સ પર જવાબ આપ્યા છે. જોકે ક્રુર આતંકી હુમલાની નીંદા કરવાનો સમય તેમને મળ્યો નથી. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે ખોટી છાતી ઠોકતા રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે, જોકે નિર્દોષ લોકો કાયરતાપૂર્ણ આતંકી હુમલાનો શિકાર થયા છે. તેમ છતાં પણ બધું પહેલા જેવું જ ચાલી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં રિયાસી અને કઠુઆ પછી આતંકીઓએ આજે ડોડા પર પણ હુમલો કર્યો છે. આ ત્રણ દિવસમાં ત્રીજો હુમલો છે. આ વખતે આતંકીઓએ ડોડા જિલ્લાના સેનાના અસ્થાઈ ઓપરેટિંગ બેસ પર ગોળીબાર કર્યો, જે પછીથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. બીજી તરફ હુમલાના કારણે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધારી દેવામાં આવ્યું છે. આ હુમલા પછી ડોડાના છત્રકલામાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના 5 જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર આતંકી ગ્રુપે આ હુમલાની જવાબદારી પણ લીધી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ બુધાવારે સવારે 1.45 કલાકે છત્રકલામાં સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશન અંતર્ગત આંતકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ પહેલા જમ્મુના એડીજીપી આનંદ જૈને જણાવ્યું હતું કે ગોળીબારમાં એક આતંકવાદી પણ મૃત્યુ પામ્યો છે અને એક નાગરિક ઘાયલ થયો છે, જોકે હવે આ વિસ્તાર ખતરાથી બહાર છે. ઓપરેશન હાલ પણ ચાલું જ છે અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે.